કેમિકલ કાંડે આખા ગુજરાતને હચમચાવી નાંખ્યુ છે. અત્યાર સુધીમાં 37 લોકોના મોત થયા છે. જ્યારે 89 લોકો હજુ પણ સારવાર હેઠળ છે. મૃતકોએ દારૂ નહીં પરંતુ પાણીમાં કેમિકલ નાંખીને પીધુ હોવાનો ખુલાસો થયો છે. કેમિકલ કાંડ મુદ્દે રાજનિતી પણ શરૂ થઈ ગઈ છે. ત્યારે અત્યાર સુધીમાં કયા કયા ગામના કેટલા લોકોના મોત થયા અને આ સમગ્ર ઘટના પાછળ જવાબદાર મુખ્ય આરોપી કોણ છે સહિતના સવાલો ઉઠી રહ્યા છે. ત્યારે બોટાદ અને અમદાવાદ જિલ્લામાં કેમિકલ કાંડથી મોત બાદ CM ભૂપેન્દ્ર પટેલ એક્શનમાં આવ્યા છે. ઉચ્ચ સ્તરીય બેઠકમાં કડક પગલાં લેવા સૂચના આપી છે. સીએમ ભૂપેન્દ્ર પટેલે કહ્યું- ગુનેગારો સામે કડકમાં કડક કાયદાકીય કાર્યવાહી કરો. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ પોલીસને 10 દિવસમાં ચાર્જશીટ દાખલ કરવાનો આદેશ આપ્યો છે.
ગુજરાતના કેમિકલ કાંડમાં અત્યાર સુધી 37 લોકોનો ભોગ લેવાયો છે. હજી પણ અનેક હોસ્પિટલના બિછાને સારવારમાં છે. જેમાં મોતનો આંકડો હજી વધી શકે તેવી શક્યતા છે. ત્યારે બોટાદ જિલ્લાના રોજીદ ગામમાં 10, દેવગણા ગામમાં 4, ચદરવા ગામમાં 3 અને પોલારપુર ગામમાં 2 લોકોના મોત થયા છે. જ્યારે રાણપુર, ભીમનાથ, રાણપરી, વેજલકા, વહિયા અને સુંદરણીયા ગામમાં 1-1 લોકોના મોત થયા છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા કોરડા ગામ એકનું મોત થયું છે. આ ઉપરાંત ધંધૂકામાં 11 લોકોના મોત થયા છે.



.png)